ઈટાલિયાની ઈફેક્ટ : એક ચાલથી રત્નકલાકારોને થયો મોટો ફાયદો, અધિકારીઓ દોડતા થયા

By: nationgujarat
27 Sep, 2025

Gujarat Politics : વિસાવદરની જીત મેળવીને ધારાસભ્ય બનેલા ગોપાલ ઈટાલિયા પોતાની દરેક ચાલથી સરકારને ચારે ખાનો ચિત્ત કરી રહ્યાં છે. ઈટાલિયાની એક એક હલચલ પર સરકાર નજર રાખી રહી છે. ગોપાલ ઈટાલિયાએ રત્ન કલાકારો માટે પદયાત્રાની જાહેરાત કરતા જ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રએ રત્ન કલાકારોના બાળકોની ફીની તાત્કાલિક ચૂકવણી કરી દીધી છે.રાજ્ય સરકાર દ્વારા રત્ન કલાકારોના બાળકોની શિક્ષણ ફી સહાયનો મામલે ગોપાલ ઇટાલિયાની પદયાત્રાની જાહેરાત થતાં જ સરકાર બેકફૂટ પર આવી ગઈ છે. સુરતના 50 હજાર કરતા વધુ રત્ન કલાકારોના બાળકોની શિક્ષણ ફી માટેની જાહેરાત કરાઈ છે. જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા ગત રોજ જાહેરાત બાદ આપ પાર્ટી દ્વારા ઉજવણી કરાઈ હતી. આપ દ્વારા વરાછા મીની બજાર ખાતે જાહેરમાં ફટાકડા ફોડી ઉજવણી કરાઈ હતી. આમ આદમી પાર્ટીએ જો રત્ન કલાકારોના બાળકોની શિક્ષણ ફી અંગેની જાહેરાત નહી થાય તો રત્ન અધિકાર પદયાત્રાની ચીમકી આપી હતી. જે બાદ તાત્કાલિક અસરથી ગત રોજ પત્રકાર પરિષદ કરી જાહેરાત કરવામાં આવી હતી. તેથી સુરત આપ પાર્ટી એ ખુશી વ્યક્ત કરી રત્ન કલાકારોને તેઓના અધિકાર માટે આગળ આવવા અપીલ કરી.

આમ આદમી પાર્ટીએ કરી હતી પદયાત્રાની જાહેરાત
આ સહાયની જાહેરાત એવા સમયે કરવામાં આવી છે જ્યારે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઈટાલીયા દ્વારા રત્નકલાકારોના હક્ક માટે ‘રત્નકલાકાર અધિકાર યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું હતું. આજે સુરતમાં આમ આદમી પાર્ટી દ્વારા રત્ન કલાકારો માટે ભવ્ય અધિકાર યાત્રા નીકળી છે. છેલ્લા કેટલાક મહિનાઓથી મંદી અને ટેરિફના કારણે હીરા ઉદ્યોગમાં સર્જાયેલી મુશ્કેલ પરિસ્થિતિ વચ્ચે, આ જાહેરાતથી રત્નકલાકારોને તાત્કાલિક રાહત મળી છે. જે રાજકીય દ્રષ્ટિકોણથી પણ મહત્ત્વની ઘટના ગણાય છે.

વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ સુરતમાં આજે રત્નકલાકાર અધિકાર યાત્રાનું આયોજન કર્યું છે. યાત્રા શ્રી ઉમિયાધામ મંદિરથી નીકળી સવાણી રોડથી માનગઢ ચોક મીની બજાર જશે. ગોપાલ ઈટાલીયા સહીત આપ પાર્ટીના નેતાઓ હાજર રહ્યા. આ વિશે ગોપાલ ઈટાલિયાએ કહ્યું કે, છેલ્લા ૨૦-૨૫ વર્ષમાં કોઈ પાર્ટીએ આટલા મોટા લેવલે રત્નકલાકારોના અધિકારો માટે વાત કરી હોય એવું ક્યારેય બન્યું નથી. આ જ રત્નકલાકારો ભાઈઓએ ભાજપને મત આપી કોર્પોરેશનથી લઈને લોકસભા સુધીની સરકારો બનાવી છે પણ આ સરકારોએ રત્નકલાકારો માટે કશું જ કઈ કર્યું નથી.

ઉલ્લેખનીય છે કે, સુરતના હીરા ઉદ્યોગમાં કામ કરતા રત્ન કલાકારો લાંબા સમયથી મંદીનો સામનો કરી રહ્યાં છે. તેથી રત્ન કલાકારો માટે રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં રત્ન કલાકારો દ્વારા કુલ 74,268 અરજી કરવામાં આવી હતી. જેની ચકાસણીના અંતે કુલ 47,599 અરજી મંજૂર કરવામાં આવી છે જેમાં કુલ 50,241 બાળકોનો સમાવેશ થાય છે. જ્યારે અલગ અલગ કારણોસર 26,600 અરજી રિજેક્ટ કરવામાં આવી છે.


Related Posts

Load more